રેશમિયો ભેડો


રેશમિયો  ભેડો

        કાઠિયાવાડના એક રખાવટવાળાને અડાભીડ આહિરની વાત કરવી છે કે જેણે પોતાની માનેલી બેન માટે મજાક મજાકમાં કેવું કર્યું અને તેના શોકમાં એ બહેને  કેવા કરુણ રસભર મરશિયાઓ કાળજા બાળી નાંખે એવા સ્વરે  ગાયા હતા.
        ભેડા શાખનો એ આહિર હતો જે એક ચારણને ત્યાં ઉછેર્યો હતો ને એની સાથે સાથે ચારણની દીકરી વીજલ પણ સગીબહેન જેમ જ મોટી થઇ હતી,ચારણે એકબીજા સગા ભાઈ બહેન હોય એવી જ રીતે ઉજેરી પાજેરીને મોટા કર્યા હતા.
        પરંતુ દુનિયાનો કોઈ માબાપ ક્યાં સુધી ભાઈ બહેનને ભેગા રાખી શકે, આથી એક દી તો ચારણે વીજલના હાથ કચ્છનો સારો મુરતિયો શોધીને પીળા હાથ કરીને સાસરે વળાવવી પડી પણ તેમ છતાં જે સહોદર નથી પણ હજુ વર્ષો સુધી એક બીજા  નાનપણના સંબંધોને જરાય ભૂલ્યા નથી. વીજલના નસીબ તો અવળા હાલતા હતા તે ચારણે થોડા સમયમાં લાંબુ ગામતરું કર્યું પણ રેશમિયો ભેડો બહેનને એકેય પ્રસંગે ઓછુ આવવા દેતો નથી ને મામેરા મોકલે વીરપસલી મોકલે બધું જાળવે પણ વીજલ હવે આધાર વિહોણી બની ગઈ પણ ભાઈ કઈ ઓછુ આવવા દેતો નથી.પણ કાયમ તો ક્યાં ભગવાન બધાને સરખા દી દયે છે એવામાં કચ્છમાં એવો કારમો દુષ્કાળ પડ્યો છે કે ગાયું મકોડા ભરખવા માંડી છે ને બાયું રડતા બાળકો મેલીને ચાલી નીકળી છે,આ સમયે વીજલને પોતાનો માનેલ ભાઈ યાદ આવ્યો  કે આજ તો એને  ત્યાં સાહ્યબી છે ને માલામાલ છે ને ચડતી કળા ભોગવે છે તો હાલ તેને ત્યાં ૬ મહિના ટૂંકા કરી આવીએ એમ માની પોતાના એક બાળકને વાણિયાને ઘેર અડાણે મુકીને બીજા બે બાળકોને થોડા ઢોરઢાંખર  વીજલ લઈને હાલી નીકળી રેશમિયા ભેડાને શોધવા. રેશમિયા ભેડો તો ગિરનારના થડમાં રેતોને જ્યાં તેણે ભાડેર નામનું ગામ વસાવ્યું જ્યાં રેશમિયા ભેડા પર મુરલીધરની ચારે હાથની કૃપા વરસતા કોઈ જાતની મણા ન રહીને લીલાલહેર કરે છે રોજ તેને ત્યાં ડાયરો જામે છે અને જાજા લોકોના હાથ એઠા થાય છે.
        વીજલ તો કચ્છ વાગડથી ભાડેર આવી પહોચી ને ત્યાં એક સવારને આવતા જોયો કે આ તો નથી ને મારો વીર પસલીયો,આટલા વરસે હવે એને હું ઓળખી પણ કેમ શકુ, આથી દુઃખી બાઈએ મોળા મોળા સ્વરે તે અસવારને પૂછ્યું કે ભાઈ અમે દુઃખિયા છી,ચારણે લાંબુ ગામતરું કર્યું છે ને આ બાળુડાને ગાવડીયુ દુઃખી દુઃખી છે પણ મે સાંભળ્યું છે કે મારો  માનેલો ભાઈ રેશમિયો ભેડો અહી ભાડેરમાં રહે છે તો થયું કે ત્યાં આ દુકાળીયા દી ટૂંકા કરી આવીએ,આટલું સાંભળતા તો અસવારે લાંબો નિસાસો નાખતા કહ્યું કે અરે બેન એ તો કેદુના પાછા થયા છે.
        ત્યાં તો વીજલને થયું કે અરર આ વેલને એકજ ડાળ હતી એ પણ આમ ભાંગી પડી એમ નિસાસો નાખી ચારણની દીકરી હોવાથી માંડી ભાઈના મરશિયા ગાવાને ગાંડા જેવી બની ગઈને આંસુડાની ધાર પડતી જાઇને લાંબા ગળે મરશિયા ગાતી  જાય છે કે
  ભલકિયું ભેડા કણસિયું કાળજ માંય,
  રગું રેશમિયા વીંઘાણી વાગડના ધણી.

 ઘોડો મૂવો ઘર ગિયા,મેલ્યા મેવલીએ,
 રખડી રાન થિયા,રોળ્યાં રેશમિયે.

 કૈ કઢારા કાઢીયા,છોરું બાન પિયાં,
 આજ રેશમિયો  જાતા,માથે દાણીગર રિયા.

 સો ગાવે સગા,પંથ બધો માથે પડ્યો,
તાણીને આવ્યા તળે,ત્યાં રોળ્યાં રેશમિયા.

ભેડો અમણો ભા,વાંઢયાને વરતાવશે,
વાટે વિસામા,રોળ્યાં તે રેશમિયા.

ભેડા ભાંગી ડાળ,જેના આધારે જીવતા,
કરમે કોરો કાળ,રખડાવ્યા રેશમિયા.

આ ટોળા ટળ્યા જાય નવરંગી નીરડિયું તણા,
એણે ગોંદરે ની ગોવાળ,રેઢા રિયા રેશમિયા.

ભર દરિયે કોઈ વાણ ભેડાનું ભાંગી ગિયું,
પંડ્ય થાતે પાખાણ,રસ ગ્યો રેશમિયા.

ટોળામાંથી તારવ્યે ઢાઢું દિયે ઢોર,
કાપી કાળજા કોર,ભેડા ભાંભરતા રિયાં.
આવા અનેક મરશિયા વીજલબાઈએ ગાઇ ગાઇને આંખો ઘોલર મરચા જેવી કરી નાંખી છે, ત્યારે આ જ અસવાર બોલ્યો કે અરે બેનડી એ જ તારો ભાઈ હું રેશમિયો જીવતો જ છું આ તારી સામે ઉભો, ઇ તો  હું તારું મન જોતો તો પણ ચારણ બાઈ કહે વીરા અમે ચારણ કુળના હો એકવાર બોલ્યા પછી કદી બીજું બોલી નહિ હો મેં તારા આવા મરશિયા ગાયાને હવે શું તારા ઘેર આવું તો તો મારું કુળ લાજે, આ શું કાઈ ખેલ હતો તો એ મરશિયાને પાછા ગળી જાવ.
        હવે તો મારે માટે મારો ભઈલો ગયેલો જ સમજવોને મારે પણ એની હારોહાર હાલી નીકળવું જ પડે તો એક જ થાનેલાના ધાવેલા ભાઈ બહેન દુનિયા ગણે.
        બીજી બાજુ રેશમિયો ભેડાની માથે મુઘલ શાહજાદીના એક તરફી પ્રેમે તેના પર વાર ચડાવીને રેશમિયો ભેડો વેકરિયાની સીમમાં મરાય ગયોને ત્યારે વીજલએ તેનું શબ મંગાવીને બે બાળકો સહિત સતી થઇ,આજે પણ ભાડેર ગામમાં વીજલનું થાનક છે.
        નોંધ :  રેશમિયો ભેડાની કથા  કાઠિયાવાડના ત્રણ ચાર ગામોમાં બતાવાય છે ને ત્યાં તેના અનેક પુરાવાઓ પણ લોકોએ જાળવ્યા છે તેમાં એક છે ચોટીલા તાલુકાના રેશમિયા ગામમાં  રેશમિયો ભેડો બેનના  મરશિયા સાંભળતા ધીરેધીરે થીજતો ગયો ને  તે પથ્થર બની ગયો ને તેનો આજે પણ પાળિયો  ત્યાં બતાવાય છે.  બીજી કથામાં રેશમિયો ભેડાને સોરઠના ઝમળા ગામના આશ્રયે બતાવાય છે.ત્રીજી કથામાં તેને સોરઠના સાંડા ગામનો બતાવ્યો છે પણ ચારેય કથામાં વાર્તાનું તત્વ અને મરશિયા એક સરખા જેવા મળતા છે.આ વાર્તાનું કથાતત્વ શ્રી કાનજીભાઈ બારોટનુ છે.


Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર